Sunday, December 29, 2019

આપણો ભ્રમ...

જગત વંદનીય શ્રી પ્રમખસ્વામી મહારાજ કથા વાર્તા દરમિયાન વારંવાર કહેતા :-


૧)  આપણે એક શેકેલો પાપડ પણ તોડવા ને સમર્થ કે શક્તિમાન નથી. સર્વ ક્રિયાઓ પરમ કૃપાળુ પરમાત્મા ની કૃપા અને શક્તિ થી થાય છે. 

૨)  બધીજ ક્રિયાઓ ઈશ્વર ઈચ્છા મુજબ જ થાય છે - ઈશ્વર જ કરતા હરતા છે, અને ઈશ્વર જે કાઈ પણ કરે છે તે આપણા સારા માટે જ કરે છે.


આ ઉપદેશ ને તેઓ એ જીવમાં ઉતારેલ એટલે જ તેઓ હમેશા હળવાશ અનુભવતા   અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિ માં પણ (જેવી કે ગાંધીનગર અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલો) સ્થિતપ્રજ્ઞ રહી શકતા અને જગત ના માન-સન્માન તેમને ક્યારે પણ સ્પર્શ્યા નહોતા.

આજ ઉપદેશ ને જાણીએ - માણીએ રામાયણ ની કેટલીક ઘટનાઓ દ્વારા:- 

                                

ॐ આપણો ભ્રમ ॐ


 અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું   કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત ?


પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી. 


આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે.” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજીએ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા.


જ્યારે રાવણનાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.

હનુમાનજીને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે, આ વાનરને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત હોઈએ. 

એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર નિમિત પાત્ર છીએ. એટલા માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે, “હું ન હોત તો શું થાત ?અથવા હું નહી હોઉં તો શું થશે ?” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજા પાત્રને નિમિત બનાવે.

No comments:

Post a Comment